Popular Posts

Get Your Website Just 5000/- Or 500/- Only

Web design company,web hosting india,domain ragitration,web devlopment,web site apllication Domain

Friday, 14 October 2011

વ્યૂહરચનાનો અમલ કરવા માટે કંપની કલ્ચર મજબૂત જોઈએ


અદરેક કંપનીનું એક કલ્ચર હોય છે. તેમાં કંપનીના વર્ક કલ્ચર, નૈતિક ધારાધોરણો અને મૂલ્યોનો સમાવેશ થાય છે. કેટલીક કંપનીઓ ગ્રાહકને શ્રેષ્ઠ પ્રોડક્ટ આપવાનું કે કેટલીક કંપનીઓ ગ્રાહકોને ખરાબ ગુણવત્તાવાળી કે ભેળસેળવાળી પ્રોડક્ટ આપવાનું મૂલ્ય ધરાવે છે. અને એ બધી કંપનીઓ અનૈતિક સાબિત થઈ. કંપનીનાં મૂલ્યો અને તેની પરંપરાઓ તેના કલ્ચરને ઉંડેથી પ્રભાવિત કરે છે. દા.ત. અમેરિકાની વોલમાર્ટનું કલ્ચર ગ્રાહકસંતોષ, કરકસરયુક્ત કામગીરી અને સપ્લાયર્સ સાથે ભાવની બાબતમાં પુષ્કળ વાટાઘાટો (બારગેઈનીંગ) સાથે સંકળાયેલું છે. ટાટા કંપનીઓનું કલ્ચર પ્રમાણિકતાના વ્યવહારો સાથે સંકળાયેલું છે, જે ભારતની બહુ જ ઓછી કંપનીઓ પ્રમાણિકતાની બાબતમાં ટાટા જોડે સરખાવી શકાય તેમ છે. રીલાયન્સ ગુ્રપ ઓફ ઈન્ડસ્ટ્રીઝનું કલ્ચર ઝડપી અને સફળ નિર્ણયો અને તેના ઝડપી અમલીકરણ સાથે સંકળાયેલું છે. તેનું કલ્ચર લાંબી લાંબી વાતો અને કદાપિ પાર ના આવે તેવી મીટીંગો પર નહીં પરંતુ પરિણામો લાવવામાં માને છે. માઈક્રોસોફટનું કલ્ચર અદ્યતનમાં અદ્યતન સોફટવેર પ્રોગ્રામીંગની શોધખોળ અને આ શોધખોળ માટે લાંબા કલાકોની કામગીરી સાથે સંકળાયેલું છે અને જનરલ ઈલેક્ટ્રીક કંપનીનો મોટો ભાર ગુણવત્તા પર છે, જેને પરિણામે તેણે સીક્સ-સીગ્મા ક્વોલીટી કન્ટ્રોલ કલ્ચર (એટલે કે દર દસ લાખ પાટર્સના ઉત્પાદનમાં માત્ર ૩ થી ૪ જ ક્ષતિઓ)ની રચના કરી છે. આપણી અમદાવાદની મીલો ‘શેઠિયા-ગુમાસ્તા’ કલ્ચર પર ઊભી થઈ હતી જેમાં શેઠિયા કૌટુંબિક હિતોને સાચવવા મન ફાવે તેવા નિર્ણયો લેતા હતા અને બહુ જ ઓછી કંપનીઓ પ્રોફેશનલ મેનેજમેન્ટમાં માનતી હતી. મીલોમાં આગળ આવવા માટે એ જ લાક્ષણિકતાઓ પર ભાર મૂકવામાં આવતો ઃ ઉપરીઓની ખુશામત કરે અને તેમને કે કંપનીને વફાદાર રહો. ૨૦૦૧માં અમેરિકાની વિરાટ કદની એનરોન કંપની તૂટી પડી તેમાં કંપનીની લોભિયા વૃત્તિ અને ગોટાળા ભરેલી એકાઉન્ટીંગ સીસ્ટમ કારણભૂત હતા. આવી ગોટાળા ભરેલી એકાઉન્ટીંગ સીસ્ટમને વળી કેટલાક અનૈતિક એકાઉન્ટીંગ પ્રોફેશનલોએ ‘ક્રીએટીવ એકાઉન્ટીંગ’ નામ આપ્યું હતું. એનરોનના કેટલાક ટોપ એકઝીક્યુટીવ પુષ્કળ અપ્રમાણિક સાબીત થયા. જેવું સત્યમનું થયું તેવું એનરોનનું થયું.

કંપનીમાં મેનેજમેન્ટનું કલ્ચર તેના ઉદાત્ત ઘ્યેયો અને મોટામોટા ‘વીઝન’ કે લક્ષ્યાંકો દ્વારા ઘડાતું નથી. તે મેનેજરોના વ્યવહાર અને વર્તન પરથી નક્કી થાય છે અને ઘડાય છે. વળી કંપનીની નીતિઓ અને પ્રોસીજર્સમાં પણ તેના કલ્ચરનું પ્રતિબિંબ પડતું હોય છે. કંપની એમ દાવો કરે કે અમારું કલ્ચર રીસર્ચ અને ડેવલપમેન્ટનું છે અને અમે સતત નવી શોધો કરવામાં માનીએ છીએ. આ કંપનીનું જો રીસર્ચ અને ડેવલપમેન્ટ પાછળનું ખર્ચ તેના કુલ વેચાણનો અડધો ટકો પણ ના હોય તો જાણકારોને તરત ખબર પડી જાય છે કે કંપની આ બાબતમાં ખોટું બોલે છે. કર છુપાવતી કંપનીઓ એમ કહે અમે પ્રામાણિક છીએ તો કોઈ તેની વાત ના માને.

કંપનીનું કલ્ચર ઘડવામાં તેના સ્થાપકોનો મોટો ફાળો હોય છે. આ સ્થાપકોની નીતિઓ, તેના મૂલ્યો, તેની ગ્રાહકો અને કર્મચારીઓ પ્રત્યેની નિસબત વગેરે તેના મૃત્યુ પહેલા અને તે બાદ પણ કંપનીના કલ્ચરમાં વણાઈ જાય છે. તેમાં ફેરફાર કરવાનું કામ મુશ્કેલ બની જાય છે. ફોર્ડ કંપનીનું કલ્ચર ઘડવામાં હેન્રી ફોર્ડ કે સારાભાઈની કંપનીઓનું કલ્ચર ઘડવામાં અંબાલાલ સારાભાઈ કે કસ્તુરભાઈની કંપનીઓનું કલ્ચર ઘડવામાં કસ્તુરભાઈ લાલભાઈનો મોટો ફાળો હતો. આ દરેકનો વહીવટ કરકસરયુક્ત અને માલની ગુણવત્તા ઘણાં ઉંચા હતાં. તેઓની શાખ કે પ્રતિષ્ઠા ઉંચા હતા. તેઓના બીઝનેસ કલ્ચરમાં આજના જેવો ઠઠારો કે ફાઈવ-સ્ટાર કલ્ચરની ભભક ન હતી અને તેઓની સામાજીક નિસ્બત ઉંચી હતી. પરંતુ તેમના ગયા પછી આ પરંપરા બહુ લાંબી ચાલી શકી નહીં. અલબત્ત કોઈ કંપનીનું કલ્ચર બહુ લાંબો વખત ટકી શકતું નથી. બદલાયેલા સંજોગોમાં કલ્ચર પણ બદલાવું જોઈએ.

કેટલીક વાર તો નવી પેઢીના મેનેજરો જૂની પેઢીના સ્થાપકોથી પણ પોતાની કંપનીઓને ઘણી આગળ લઈ જાય છે. અમદાવાદમાં ઝાયડસ કેડીલા, ટોરન્ટ ફાર્માસ્યુટીકલ્સ અને તેની સાથી કંપનીએ કે અરવીંદ મીલ્સની મેનેજમેન્ટ તેમના ડાયનેમીક કલ્ચર માટે જાણીતા બન્યા છે. આ ત્રણે કંપનીઓએ આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિબિંદુ કેળવ્યું છે કારણ કે તેમણે ટોપ મેનેજમેન્ટમાં ડાયનેમીક મેનેજરો લીધા છે. તો વળી અમદાવાદની કેટલીક કંપનીઓનું કલ્ચર તેના સ્થાપકોના કલ્ચરથી નીચે ને નીચે ઉતરતું પણ જોવા મળ્યું છે. અહીં મુખ્ય મુદ્દો એ છે કે કંપનીનું કલ્ચર તેની વ્યૂહરચનાના અમલીકરણ માટે અનિવાર્ય છે.

કંપનીના કર્મચારીઓને માત્ર ટ્રેઈનિંગ આપવાથી કે તેમની વફાદારીને પ્રોત્સાહન આપવાથી કંપનીનું કલ્ચર બદલાતું નથી. કંપનીના કલ્ચરમાં માત્ર કરકસરનો જ મંત્ર હોય તો કંપનીના મેનેજરો માત્ર ખર્ચો બચાવવાના જ નુસખાઓ ખોળી કાઢે છે અને ઈનોવેશનમાં કંપની ‘ઢ’ સાબિત થાય છે. માત્ર કરકસરિયા દ્રષ્ટિબિંદુથી કંપનીની પ્રોડક્ટસની ગુણવત્તા ના સુધરે કે તે વર્લ્ડ કલાસ ના બની શકે. પહેલાંનાં જમાનાના ઉદ્યોગ સાહસિકો આવા કરકસરિયા હતા તેથી ભારતનો માલ ૧૯૮૦ પહેલાં તકલાદી ગણાતો હતો.

કેટલાક કંપની કલ્ચર્સ ફેરફારોને અપનાવે છે તો કેટલાક ફેરફારોનો બહુ જ વિરોધ કરે છે. કોઈપણ નવું મશીન કે નવો પ્રોસીજર કે નવી ટેકનિકને અપનાવાની વાત આવે તો ફેરફાર વિરોધી મેનેજરો કહે છે, નોટ ઈન્વેન્ટેડ હીઅર. એનો અર્થ એ કે અમારા ખાતાએ આ નવી ટેકનીક કે ટેકનોલોજી ખોળી નથી તેથી અમને તેનો કોઈ ઉપયોગ નથી. ફેરફાર વિરોધી માનસ માટે અંગ્રેજીનો ર્શા ૈહપીહાીગ રીીિ શબ્દ જાણીતો બન્યો છે.

કેટલીક કંપનીના કલ્ચર્સ બિનતંદુરસ્ત હોય છે. તેમાં કેમ કરીને સામાને વઘુ નફે માલ વેચી દેવો તેની જ ચિંતા હોય છે. બિનતંદુરસ્ત કલ્ચર્સમાં એક સૌથી મોટું દૂષણ કર્મચારી, મેનેજરો વચ્ચે અંદર અંદરનું રાજકારણ હોય છે, તેના નિર્ણય તેની અસરકારકતાના ધોરણે નહીં પણ તે ક્યા ગુ્રપની કે ડીપાર્ટમેન્ટલ વડાની સત્તા વધારશે તેના પર આધારિત હોય છે. આમાં જે ગુ્રપ સૌથી સત્તાશાળી હોય તે જીતી જાય છે પરંતુ કંપનીને નુકશાન પહોંચે છે. વળી બિનતંદુરસ્ત કલ્ચર્સવાળી કંપનીઓમાં ફેરફારો માટે મોટો વિરોધ જોવા મળે છે અને જેઓ ફેરફારો લાવવાની વાત કરે તેને માટે સખત અણગમો હોય છે. વળી તેમાં દરેક ડીપાર્ટમેન્ટલ વડો પોતાની ‘સત્તાનો વિસ્તાર’ વધારવામાં મશગુલ હોય છે. કંપનીના બીજા નાના નાના ઉપખાતાઓને તે હડપ કરી લેવા માંગે છે. પોતાની સત્તાની સરહદમાં તેઓ કોઈને પ્રવેશવા દેતા નથી. આવા વલણોથી ત્રાસી જઈને જ જેક વેલ્શે જનરલ ઈલેક્ટ્રીક કંપનીમાં બાઉન્ડ્રીલેસ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરી હતી, જેમાં ડીપાર્ટમેન્ટસના કે ડીવીઝન્સના વડાઓની સરહદો તેમણે તોડી નાંખી હતી. અત્યંત રાજકારણવાળી કંપનીમાં બિચારા બુદ્ધિશાળી અને સર્જનાત્મક કર્મચારીઓ કે મેનેજરો જેઓને સત્તાના રાજકારણમાં પડવું નથી તેઓ હાંસિયામાં ધકેલાઈ જાય છે. છેવટે તો કંપનીને જ નુકસાન થાય છે. એક જમાનામાં થોડાંક વર્ષો પૂરતી જનરલ મોટર્સ, આઈબીએમ, સીઅર્સ, ઈસ્ટમેન કોડાક જેવી પ્રતિષ્ઠિત કંપનીઓ પણ તેમની અમલદારશાહીના જંગલમાં ફસાઈ ગઈ હતી અને ચારેએ પોતાનું બજાર ગુમાવી દીઘું હતું.

ઉપસંહાર ઃ દરેક કંપનીની ચિંતા એ હોય છે કે પોતાની વ્યૂહરચનાને અનુરૂપ કંપની કલ્ચરની રચના કેવી રીતે કરવી. પરંતુ તે પહેલાં કંપનીની ટોપ મેનેજમેન્ટે તેમને કંઈ જાતનું કલ્ચર જોઈએ છે તેનું ઉંડાણથી ચિંતન કરવાની જરૂર છે. કંપનીના કલ્ચરને કેવી રીતે બદલવું તે વિષયની અહીં ચર્ચા કરી નથી. તે જુદો લેખ માંગી લે છે. પરંતુ સંજોગો બદલાતાં કંપનીઓએ તેમના વડા જો વ્યૂહરચના અનુસાર કંપની કલ્ચર બદલી શકે તેમ ના હોય તો તેમને દૂર કરવા જોઈએ અને નવી મેનેજમેન્ટ ટીમ લાવવી જોઈએ. પશ્ચિમ જગતમાં બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ કંપનીના વડાને ફટાફટ બદલે છે, જ્યારે ભારતમાં કંપનીના વડા જુનવાણી થઈ ગયા હોય તો પણ તેમને ચાલુ રાખવામાં આવે છે. ભારતમાં વૃદ્ધકેન્દ્રી કલ્ચર છે.

No comments:

Post a Comment